કચ્છની ધરતીનો કાળો નાગ
"જેસલ જાડેજા "

આજે પણ કચ્છના અંજારની મુલાકાતે જનારા પ્રવાસીઓ જેસલ તોરલના સમાધિ સ્થળે અચૂક જાય છે.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.

સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.

એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.

રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.
કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે..

સર્વ મિત્રોને જય Ψ માતાજી
🏻આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.